(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ પર આવેલા નવા માલજીપુરાની મહીલાઓ સહીત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.આ રસ્તા ઉપર મોટાપાયે કવોરી ઉદ્યોગ આવેલો હોય રોજીંદા સેંકડો વાહનો અવરજવર કરતા હોવાના કારણે રસ્તો એટલો બિસ્માર બન્યો છે.આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખુબજ હાલાકી વેઠવાનો વારો આવે છે,માર્ગ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે,લોકો ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,ગ્રામજનોના જણાવાયા મુજબ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે સ્વાસ્થ ઉપર અસર પડે છે, શ્વાસો શ્વાસની બીમારીઓ થવાની દહેશત વર્તાઈ રહી છે,રોડ પરથી વાહનો પસાર થાયતો પથ્થરો ઉડીને લોકોને વાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે, આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.ખરાબ રસ્તા કારણે કરવામાં આવેલ હલ્લાબોલના લીધે રાજપારડી થી નેત્રંગ રોડ પર નવા માલજીપુરા ગામ પાસે વાહનોની કતારો લાગી ગઈ હતી.વિરોધ કરવા રસ્તા પર બેઠેલ ગ્રામજનોને રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા સમજાવી રસ્તો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાગતા વળગતા વિભાગના એન્જીનીયરે સ્થળ મુલાકાત કરી ગ્રામજનોની રજૂઆત સાંભળી દિન પંદર માં રસ્તાનું કામ ચાલુ કરવાની બાંહેધરી આપી હતી ત્યાં સુધી રસ્તા ઉપર પાણીનો છંટકાવા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું બાદમાં મામલો થાળે પડ્યો હતો.હવે જોવું રહ્યું કે ગ્રામજનોના વિરોધ બાદ માર્ગનું સમાર કામ કરવામાં આવે છે કે પછી જેસે થે ની સ્થિતિ રહશે એતો આવનારો સમય જ બતાવશે.આ અગાઉ પણ આ માર્ગ ઉપર સ્થાનિકોએ ખરાબ માર્ગના કારણે અને અવિરત માલવાહક વાહનોની અવરજવરના કારણે ભારે હાલાકીનો સામનો કરતા હોય ચક્કાજામ કર્યો હતો તે દરમિયાન આપેલ બાહેધરીનો કોઈ પાલન જવાબદાર તંત્ર દ્વારા નહીં કરવામાં આવતા ફરી આજરોજ નવા માલજીપુરા ગામના રહીશો ચકાજામ કરવા મજબૂર બન્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપરથી રોજિંદા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જેવા પદાધિકારીઓ પણ અવરજવર કરતા હોય તેમને પણ માર્ગના બાબતે કોઈ રસ દાખવ્યો નહી હોય તેમ આજના ચક્કાજામના કાર્યક્રમ પરથી ફલિત થાય છે.
ઝઘડિયાના નવા માલજીપુરા ગામની મહિલાઓનો ખરાબ રસ્તાના કારણે હલ્લાબોલ
- Ads -