(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ગામોએ સીએસઆર ફંડ હેઠળ વિવિધ લોકોપયોગી કામો કરાતા હોય છે.જેમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફુલવાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતવાળું બની ગયેલ હોઈ તેને માટે નવા આયોજનની જરૂર હતી.ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કેન્દ્રના નવા મકાન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી.આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે જીઆઈડીસીની ગુલબ્રાન્ડસેન કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડમાંથી રકમની ફાળવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના નવીન મકાનનું બાંધકામ પુર્ણ થતાં આજરોજ તા.૨૨ મીના રોજ તેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુલબ્રાનડસેન કંપનીના મદદનીશ જનરલ મેનેજર અનીશભાઈ કચ્છી,કંપનીના સીએસઆર વિભાગના રુષિત પ્રજાપતિ,વિક્રમ સિંઘલ પ્રેસિડેન્ટ જીટીઆઈ એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ગુલબ્રાન્ડસેન કંપની,સંજય સિંઘ ગ્લોબલ ડાયરેક્ટર એસસીએમ એન્ડ ઓપરેશન,સામાજિક અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ,ગામના સરપંચ રામુભાઈ વસાવા,ઉપસરપંચ સંદિપ પટેલ,ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અગ્રણી સુનિલ શારદા,જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગામ અગ્રણી નરેન્દ્રભાઈ પટેલના પ્રયત્નથી અને ગુલબ્રાન્ડસેન કંપનીના સહયોગથી આરોગ્ય કેન્દ્રનું નવું બનેલ મકાન વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ હોઈ ગ્રામજનોને યોગ્ય અને જરૂરી આરોગ્ય સેવાઓ મળી શકશે એમ જણાવાયું હતું.આરોગ્ય કેન્દ્રનું આ નવીન મકાન ૪૬૦૦ સ્કેવર ફુટના બાંધકામ સાથે કુલ ૧૨ જેટલા રુમો ધરાવે છે.જેમાં ભોંયતળિયે ઓનલાઈન કન્સલ્ટીંગ રૂમ,લેબોરેટરી,મેડિસિન રૂમ,લેબર અને ઓબ્ઝરવેશન રૂમ તેમજ પહેલા માળે સ્થાનિક તબીબ માટે રહેઠાણની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.ગામને નવું આરોગ્ય કેન્દ્ર મળતા ફુલવાડીના ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
ઝઘડિયાના ફુલવાડી ગામે આરોગ્ય કેન્દ્રના નવા બનેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું
- Ads -